“બાપજી, આપ અત્યારે કેમ આટલી બધી પ્રતિકૂળતા વેઠો છો ? ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા અમે સંતો આપને આપની અવસ્થાને અનુકૂળ આવે એવી વ્યવસ્થા કરવા ઇચ્છીએ છીએ તોપણ આપ સાનુકૂળતા ઠેલી દો છો ?” આટલું કહેતા સેવક સંત ઢીલા પડી ગયા. 

“અરે, અમારે તો સાનુકૂળતા જ છે. ક્યાં કોઈ તકલીફ છે ?” 

“બાપજી, આપને જેટલી તકલીફ છે તેટલી તકલીફ તો અમારે પણ નથી. છતાં આપ પ્રતિકૂળતાની જ પસંદગી કરો છો.” 

“જો સાંભળ, પ્રતિકૂળતાની વચ્ચે પ્રતિકૂળતાને પસંદ કરવી તે લાચારી છે. જ્યારે અનેક સાનુકૂળતાઓની વચ્ચે પણ પ્રતિકૂળતાને જ પસંદ કરવી એ સાધુતા છે. એટલે તો નંદસંતોએ કહ્યું છે,

‘તન કી ઉપાધિ તજે સોહી સાધુ...’

માટે પ્રતિકૂળતામાં રહેવું. એથી મહારાજ રાજી થાય.”

સ્વસુખને ગૌણ કરી સદા પ્રતિકૂળતાને પસંદ કરી અનંત જીવોને સુખિયા કરનાર ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન…